
ગુજરાત ભાજપમાં આગામી દિવસોમાં મોટો ફેરફારો થવાની શક્યતા હોવાનું જાણવી મળી રહ્યું છે. એક નવી ભાજપ જોવા મળી શકે છે . ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં પણ નવા ચહેરાંને સ્થાન મળી શકે છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના સંગઠનમાં મોટો ફેરફારો અને ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો કાર્યકાળ જુલાઇ 2023માં જ પુરો થયો છે, પરંતુ ભાજપના મોવડી મંડળે પાટીલને ચાલુ રાખવા કે નહીં તે અંગે કોઇ ફોડ પાડ્યો નથી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સી આર પાટીલ જ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રહેશે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવીને 156 બેઠકો પર જીત મેળવી હતી અને ભાજપે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકેની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને સોંપી હતી. ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની શરૂઆતમાં પોતાનું મંત્રી મંડળ જાહેર કર્યું હતું, તેમાં 17 ધારાસભ્યોને સ્થાન મળ્યુ હતું. જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ ઇન્ચાર્જ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં 26 જેટલા મંત્રી હતી.
હવે વર્ષ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભા2022ની ચૂંટણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નિમણુંક વચ્ચેના ટુંકાગાળામાં એ વાતની જોરશોરથી ચર્ચા ચાલી હતી કે બોર્ડ નિગમોમાં ચેરમેનોની નિમણુંક કરવામાં આવશે, પરંતુ ચૂંટણી પણ પુરી થઇ ગઇ અને એવું કશું બન્યું નહીં.
હવે છેલ્લાં કેટલાંક સમયથી પત્રિકા કાંડને કારણે ભાજપના મોટા મોટા નેતાઓના રાજીનામા લઇ લેવાયા અને હજુ કેટલાંકના રાજીનામા પડે તેવા ભણકારા વાગી રહ્યા છે. એવા સંજોગોમાં નજીકના દિવસોમાં ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થશે અને એક નવી જ ભાજપ જોવા મળી શકે છે.

બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં સારું કામ કરી રહી છે, મુખ્યમંત્રી કે તેમના મંત્રીમંડળના મંત્રી હજુ વિવાદોમાં આવ્યા નથી. પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ પાસે અત્યારે ખાતાઓનો બોજ છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે અને તેમાં નવા ચહેરાં દેખાશે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતમાં ધારાસભ્યોની કામગીરીનો સર્વે કરાવી છે. કેન્દ્રની મોદી સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવામાં ક્યા ધારાસભ્યો પાસ થાય છે કે નાપાસ થાય છે તે મંત્રીમંડળના વિસ્તરણમાં ખબર પડશે. આ ઉપરાંત સંગઠનમાં પણ કોણે કેટલી ઉત્સાહ અને જવાબદારીથી કામ કર્યું છે તેનો પણ તાગ કાઢી લેવાયો છે.
No comments:
Post a Comment