બ્રિટિશ PM સાથેની મુલાકાતમાં PM મોદીએ માલ્યા-નીરવ પર કાર્યવાહી કરવાનું કહ્યું - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Tuesday, November 19, 2024

બ્રિટિશ PM સાથેની મુલાકાતમાં PM મોદીએ માલ્યા-નીરવ પર કાર્યવાહી કરવાનું કહ્યું

 

PC: amarujala.com

બ્રિટન ટૂંક સમયમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુઓ સામે કાર્યવાહી કરી શકે છે. એનું કારણ એ છે કે, PM મોદીએ આ મુદ્દો બ્રિટિશ PM કીર સ્ટારમર સમક્ષ ઉઠાવ્યો છે. G-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચેલા PM મોદીએ મંગળવારે (19 નવેમ્બર) બ્રિટિશ PM કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ સ્થળાંતર સંબંધિત પ્રક્રિયાને ઝડપી બનાવવાની જરૂરિયાત પર સહમત થયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, PM મોદી અને બ્રિટિશ PM સ્ટારમર વચ્ચે આ પહેલી મુલાકાત હતી. જ્યારે PM મોદીએ તેમને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, ત્યારે PM સ્ટારમેરે PM મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.

બંને વડાપ્રધાનોએ અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી ટેકનોલોજી, સંશોધન અને નવીનતા, ગ્રીન ઈકોનોમી અંગે ચર્ચા કરી હતી. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અંગે પણ વાતચીત થઈ હતી.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય બિઝનેસમેન નીરવ દીપક મોદી ભારતીય મની લોન્ડરિંગ અને છેતરપિંડી કેસમાં ભાગેડુ છે. ઈન્ટરપોલ અને ભારત સરકારે તેના પર ગુનાહિત કાવતરું, ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, છેતરપિંડી અને ઉચાપતનો આરોપ મૂક્યો છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 2 બિલિયન ડૉલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદીની તપાસ કરવામાં આવી રહી છે.

માર્ચ 2018માં, નીરવ મોદી UKમાં હોવાની સૂચના મળી હતી, જ્યાં તેણે રાજકીય આશ્રય માટે અરજી કરી હતી. જૂન 2019માં, સ્વિસ સત્તાવાળાઓએ નીરવ મોદીના સ્વિસ બેંક ખાતાઓમાં સંપત્તિ સહિત કુલ 6 મિલિયન US ડૉલર ફ્રીઝ કરી દીધા હતા. નીરવ મોદીનો પરિવાર ઘણી પેઢીઓથી હીરાના વ્યવસાયમાં છે.

જ્યારે, વિજય વિટ્ટલ માલ્યા પણ ભારતીય ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ સાંસદ છે. માલ્યા પર કિંગફિશર કંપનીના ડૂબવાના સંબંધમાં ભારતીય કાયદા હેઠળ 'વિલફુલ ડિફોલ્ટર' હોવાનો આરોપ છે, જેમાં મની લોન્ડરિંગ અને ગેરઉપયોગના આરોપોનો સમાવેશ થાય છે.

માલ્યાને 2017માં કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને તેના બાળકોને 40 મિલિયન ડૉલર ટ્રાન્સફર કરવા બદલ તિરસ્કારનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કેસમાં 11 જુલાઈ, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે માલ્યાને ચાર મહિનાની જેલની સજા ફટકારી હતી અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. માલ્યાને જેલની સજા સંભળાવતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને ચાર સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 8 ટકા વ્યાજ સાથે 40 મિલિયન ડૉલર જમા કરાવવા પણ કહ્યું હતું.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond