ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. હિંસક વિરોધ પછી શેખ હસીનાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારત બાંગ્લાદેશ સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. દેશમાં ફેલાયેલી હિંસાને કારણે ભારતના બિઝનેસને પણ અસર થવાની આશંકા છે. બંને દેશો ઘણી વસ્તુઓની આયાત અને નિકાસ કરે છે. વિરોધ પ્રદર્શન અને હિંસાને કારણે બાંગ્લાદેશના ઉદ્યોગો લાંબા સમયથી બંધ છે. તે અન્ય દેશોમાં કોઈપણ સામાન મોકલવાનું ટાળી રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતમાં ઘણી પ્રોડક્ટ્સની કિંમતો પર નોંધપાત્ર અસર થઈ શકે છે.

બાંગ્લાદેશ ઉચ્ચ ગુણવત્તાવાળા તૈયાર વસ્ત્રોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીં મજૂરો અને કાચો માલ સસ્તા ભાવે મળી રહે છે. એટલા માટે અહીં ઉત્પાદિત કપડાંની ફિનિશિંગ અને ગુણવત્તા વિશ્વમાં ખૂબ સારી માનવામાં આવે છે. ભારતની મોટી બ્રાન્ડ્સ કાં તો બાંગ્લાદેશમાં તેમના કપડા તૈયાર કરાવે છે અથવા ત્યાંથી કાચો માલ મેળવે છે અને પછી તેમને તેમના પોતાના દેશમાં બનાવે છે.

ભારત બાંગ્લાદેશથી માત્ર કાપડની ચીજવસ્તુઓ જ આયાત નથી કરતુ, પરંતુ જ્યુટ, રબર, ખાદ્યતેલ અને વનસ્પતિ તેલની પણ આયાત કરે છે. સાથે જ ભારત પણ ઘણી નિકાસ કરે છે. આમાં ચોખા, કપાસ, સુતરાઉ કાપડ, ઘઉં અને ઘઉંના ઉત્પાદનો, મસાલા, શાકભાજી, ખાંડ, ફળો અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ભારતે નાણાકીય વર્ષ 2023-24માં બાંગ્લાદેશને 1220 કરોડ ડૉલરની નિકાસ કરી છે.
બાંગ્લાદેશથી ભારતમાં આવતા માલની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2023-24માં 1154 માલની આયાત કરવામાં આવી હતી. તે લગભગ 2.02 બિલિયન ડૉલર હતું. જ્યારે, પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો માત્ર 1.97 અબજ ડૉલર જ હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, બંને દેશોએ ભારતીય રૂપિયામાં વેપાર શરૂ કરવાનું મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું હતું. ભારતમાં ત્રીજી વખત મોદી સરકાર આવ્યા પછી બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાએ ભારતની મુલાકાત લીધી હતી અને 22 જૂને PM મોદીને પણ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા કરારો પણ થયા હતા. આમાં બંને દેશો વચ્ચે ભારતીય રૂપિયામાં વેપાર કરવાનું પણ સામેલ હતું.

No comments:
Post a Comment