ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, માત્ર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના પ્રદર્શનના આધારે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી શકાય નહીં.
જ્યારે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા એવા ખેલાડીઓને સ્થાન મળ્યું, જેમનું IPLમાં પ્રદર્શન જોરદાર નહોતું. હાર્દિક પંડ્યા સહિત ઘણા એવા ખેલાડીઓને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમનું IPLમાં પ્રદર્શન ખૂબ જ સબ-સ્ટાન્ડર્ડ હતું. જય શાહે આ બાબતે જવાબ આપ્યો.
મીડિયા સૂત્રને આપેલા ઈન્ટરવ્યુમાં, BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના સચિવ જય શાહે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઉદ્યોગપતિ અને ક્રિકેટ ચાહક હર્ષવર્ધન ગોએન્કા સાથે વાત કરી હતી.

જય શાહે આ ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, કોવિડ-19 વચ્ચે UAEમાં 2020 IPLનું આયોજન તેમની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. જ્યારે, તેણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, ભારતીય ક્રિકેટ ટીમ 2023ના ODI વર્લ્ડ કપમાં ફાઇનલમાં હાર્યા પછી 2024 T20 વર્લ્ડ કપ જીતશે.
આ ઈન્ટરવ્યુમાં જય શાહે પોતાની સિદ્ધિઓ અને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ વિશે પણ વાત કરી હતી. જય શાહે કહ્યું, 'સિલેક્ટર્સ માત્ર IPL પ્રદર્શનના આધારે પસંદ કરી શકતા નથી, કારણ કે, ખેલાડીઓ માટે વિદેશમાં રમવાનો અનુભવ પણ મહત્વપૂર્ણ છે.'

આ ઈન્ટરવ્યુમાં જય શાહને IPLમાં લાગુ કરાયેલા ઈમ્પેક્ટ પ્લેયર નિયમ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના પર શાહે કહ્યું, આ એક ટેસ્ટ કેસ છે, અમે આ અંગે ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી અને તમામ સંબંધિત લોકો સાથે વાત કરી રહ્યા છીએ. મને લાગે છે કે આ મેચોને વધુ રસપ્રદ બનાવી રહી છે અને વધુ ભારતીય ખેલાડીઓને તક પણ આપી રહી છે. જો ચર્ચા પછી આ અંગે અસંતોષ હશે તો અમે તેને બદલી દઈશું.'
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
અનામતઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન

No comments:
Post a Comment