VVPAT પર SCના નિર્ણય બાદ PMએ કહ્યું- બેલેટ પેપર લૂંટનારાના સપના ચકનાચૂર થઈ ગયા - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Friday, April 26, 2024

VVPAT પર SCના નિર્ણય બાદ PMએ કહ્યું- બેલેટ પેપર લૂંટનારાના સપના ચકનાચૂર થઈ ગયા

 

PC: Khabarchhe.com

સુપ્રીમ કોર્ટે આજે EVMને લઈને પોતાનો ચુકાદો આપી દીધો છે, જેમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ ફગાવી દેવામાં આવી છે. આ ચુકાદા બાદ PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બિહારમાં જનસભાને સંબોધિત કરતા સમયે PM મોદીએ EVMને લઈને વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, EVMને લઈને શંકા ઉભી કરવામાં આવી અને આ લોકો આને બદનામ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં વિપક્ષને સણસણતો તમાચો માર્યો છે. આ રીતે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બેલેટ પેપર લૂંટનારાનું સપનું ચકનાચુર થઈ ગયું છે. હવે જૂનો સમય પાછો નથી આવવાનો.


EVM દ્વારા જ થશે મતદાન; SCએ દરેક VVPAT સ્લિપને મેચ કરવાની માગને નકારી કાઢી

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાંથી વોટિંગ કર્યા પછી જનરેટ થતી દરેક VVPAT સ્લિપને ગણવાની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. આ સાથે ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થતા તમામ પ્રશ્નોનો અંત આવી ગયો છે. લાંબી સુનાવણી પછી બુધવારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીઓ પર સુનાવણી દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે, શું EVMમાં પડેલા મત અને તેમાંથી નીકળતી તમામ VVPAT સ્લિપ્સનો મેળ થઈ શકે છે. ચૂંટણી પંચે આ અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો અને કહ્યું હતું કે, જો આમ કરવામાં આવે તો પરિણામ આવવામાં 12 દિવસનો સમય લાગી શકે છે.


સુપ્રીમ કોર્ટે માત્ર EVM દ્વારા જ મતદાન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ એમ પણ કહ્યું છે કે, ચૂંટણીમાં બીજા કે ત્રીજા સ્થાને રહેલો કોઈપણ ઉમેદવાર 5 ટકા EVM ચેક કરાવી શકે છે. આની તપાસમાં થયેલો ખર્ચ ફરિયાદ કરનાર ઉમેદવારે જ ઉઠાવવાનો રહેશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, VVPAT સ્લિપને વોટિંગ પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી સાચવવી પડશે. આ એટલા માટે છે કે, કોઈપણ વિવાદના કિસ્સામાં, તેને EVMમાં પડેલા મત સાથે મેચ કરી શકાય છે.

ચૂંટણી પંચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, દરેક EVM સાથે VVPAT મેચ કરવું શક્ય નથી. પંચે કહ્યું કે, પહેલાથી જ એવો નિયમ છે કે, VVPAT ને કોઈપણ 5 ટકા EVM સાથે મેચ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આ એક ખૂબ જ નક્કર નિયમ છે અને કોઈપણ શંકા દૂર કરે છે. ચૂંટણી પંચે એ પણ ખુલાસો કર્યો કે, આજ સુધી કોઈ EVM હેક થયું નથી. આવી સ્થિતિમાં તેના પર સવાલ ઉઠાવવા ટેક્નિકલ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.

કોર્ટે ચૂંટણી પંચના પક્ષને સાંભળ્યા પછી નિર્ણય અનામત રાખ્યો હતો. હવે કોર્ટે પોતાનો નિર્ણય એવા સમયે આપ્યો છે, જ્યારે દેશની 88 લોકસભા સીટો માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કોર્ટે કહ્યું કે, EVMમાં તમામ સિમ્બોલ લોડિંગ સીલ કરવામાં આવે. આ કામ ઉમેદવારોની હાજરીમાં થવું જોઈએ. કોર્ટે બેલેટ પેપર દ્વારા મતદાનની માંગને પણ સંપૂર્ણપણે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, અમે બેલેટ પેપર દ્વારા મતદાન પણ જોયું છે, તે સમયે શું થતું હતું.

કોર્ટે એમ પણ કહ્યું છે કે, મતગણતરી પછી પણ કન્ટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATને સુરક્ષિત રાખવા જોઈએ. પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર, બીજા કે ત્રીજા સ્થાને આવેલા ઉમેદવાર દ્વારા મેચિંગ અથવા વેરિફિકેશન માટે અરજી કરી શકાય છે. તેમની અરજીની મેન્યુફેક્ચરિંગ કંપનીઓના એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવશે.

Source:

No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond