મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા સીટ પરથી BJPના ઉમેદવાર નવનીત રાણા ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. એક રેલીમાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે 'મોદી લહેર' પર વિશ્વાસ ન કરો. આ નિવેદન બાદથી વિપક્ષ તેમના પર પ્રહારો કરી રહ્યા છે. શરદ પવારના નેતૃત્વમાં NCP અને શિવસેના (UBT)એ આ મામલે કહ્યું છે કે, નવનીત રાણા સાચું બોલી રહ્યા છે. BJPની નિરાશા એ હકીકત પરથી પણ દેખાઈ રહી છે કે તે વિપક્ષી નેતાઓને પોતાના પક્ષમાં લઈ રહી છે.

15 એપ્રિલે નવનીત રાણા તેના વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં તે કહેતી જોવા મળી રહી છે કે, 'આપણે આ ચૂંટણી ગ્રામ પંચાયતની જેમ લડવાની છે. તમામ મતદારોને 12 વાગ્યા સુધીમાં બૂથ પર લાવવાના રહેશે અને મતદાન કરવા જણાવવામાં આવશે. એવા ભ્રમમાં ન રહો કે મોદી લહેર છે. 2019માં PM મોદીનો જોરદાર પ્રભાવ હતો, ત્યારે પણ હું અપક્ષ તરીકે ચૂંટાઈ હતી. તેથી ચૂંટણીને હળવાશથી ન લેવી જોઈએ.'

નવનીતનું ભાષણ વાયરલ થયું ત્યારથી તે વિપક્ષી પાર્ટીઓના નિશાના પર છે. NCP (શરદ પવાર)ના પ્રવક્તા મહેશ તાપસીએ તેમના પર પ્રહાર કરતા કહ્યું, 'રાણાએ જે કહ્યું તે સંપૂર્ણ રીતે સાચું છે. તે આ જાણે છે અને BJPના સાંસદો પણ આ જાણે છે. BJP પોતે પણ આ જાણે છે. મોદીની લહેર નથી, તે હકીકતમાં પણ પ્રતિબિંબિત થાય છે. તેઓ એવા નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ રહ્યા છે, જેમના પર તેમણે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, કારણ કે તેમનામાં ચૂંટણી જીતવાની ક્ષમતા દેખાતી હતી.'
રાણાના આ નિવેદન પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ BJPને ઘેરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું અમે ઘણા વખતથી કહી રહ્યા છીએ અને હવે નવનીત રાણા પણ કહી રહ્યા છે કે, મોદી લહેર ક્યાંય નથી. થોડા અઠવાડિયામાં તેઓ પણ સત્ય જાણશે કે, આ વખતે મોદી વિરુદ્ધ લહેર છે.'

જો કે વિપક્ષના પ્રહારો પછી હવે નવનીત રાણાએ ખુલાસો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, 'મારા ભાષણનો ઉપયોગ વિપક્ષો દ્વારા ખોટા નિવેદનો કરવા માટે કરવામાં આવી રહ્યા છે. લોકો PM મોદીના કામો જાણે છે. મોદી લહેર હતી, છે અને રહેશે. અમે PM મોદીના કાર્યો અને વચનોને સ્વીકારીશું. અમે તેને મતદારો સુધી લઈ જઈએ છીએ અને મત માંગીએ છીએ, અમે આ વખતે 400+નો લક્ષ્યાંક હાંસલ કરીશું.'
અહીં તમને જણાવી દઈએ કે, નવનીત રાણા 2019ની લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે NCPએ તેમને ટેકો આપ્યો હતો. પરંતુ, આ વખતે BJPએ તેમને મેદાનમાં ઉતાર્યા છે.

No comments:
Post a Comment