આબકારીનીતિ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં 8 સમન્સ જાહેર થયા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, સમન્સ ગેરકાયદેસર છે, છતા તેઓ EDના સવાલોના જવાબ આપવા તૈયાર છે. તેમણે ED પાસે 12 માર્ચ બાદની કોઈ તારીખ માગી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવાલોના જવાબ આપશે. EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ જાહેર કરતા 4 માર્ચના રોજ હાજર થવાના નિર્દેશ આપ્યા હતા.

આ અગાઉ તપાસ એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રીને 22 ફેબ્રુઆરીએ સાતમી નોટિસ જાહેર કરી હતી. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. જો કે, આમ આદમી પાર્ટી (AAP)એ નોટિસને ગેરકાયદેસર બતાવી હતી અને એજન્સીને કોર્ટના નિર્ણયની રાહ જોવા પણ કહ્યું હતું. EDએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બર, 21 ડિસેમ્બર, 3 જાન્યુઆરી 17 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરીએ આઠમું સમન્સ જાહેર કર્યું હતું.
22 માર્ચ 2021ના રોજ મનીષ સિસોદિયાએ દિલ્હીમાં નવી આબકારી નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021ના રોજ નવી આબકારી નીતિ એટલે કે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગૂ કરી દેવામાં આવી. નવી નીતિ આવ્યા બાદ સરકાર દારુના કારોબારથી બહાર આવી ગઈ, ત્યારબાદ દારૂની બધી દુકાનો ખાનગી હાથોમાં જતી રહી. આ નીતિને લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા રાજ સમાપ્ત થઈ જશે અને સરકારની આવકમાં વધારો થશે

જો કે, નવી નીતિ શરૂ થતા જ વિવાદોમાં રહી. જ્યારે હોબાળો વધ્યો તો 28 જુલાઇ 2022ના રોજ સરકારે નવી આબકારીનીતિ રદ્દ કરીને જૂની પોલિસી લાગૂ કરી દીધી. ભાજપ નેતા હરીશ ખુરાનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આ પગલાં પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, દરેક વખતની જેમ આ વખત પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આઠમા સમન્સને સ્કીપ કરી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે, શું અરવિંદ કેજરીવાલે 12 માર્ચના રોજ કોઈક મુહૂર્ત કાઢ્યું છે. અંતે અરવિંદ કેજરીવાલ EDના સવાલોથી કેમ બચી રહ્યા છે?

No comments:
Post a Comment