Bharuch News: ગુજરાતમાં એક તરફ કોંગ્રેસના કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે ત્યારે બીજી બાજુ રાહુલ ગાંધીની ન્યાયયાત્રા લોકો સુધી પહોચી રહી છે. પરંતુ આ વચ્ચે ભરૂચ બેઠક ચર્ચાસ્પદ બની છે. ત્રીજા દિવસે ન્યાયયાત્રા લઇ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચ પહોચ્યા હતા તેમનું સ્વાગત કરવા માટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પહોચ્યા હતા પણ ગાંધી પરિવારની નજીક રહેલા અહેમદ પટેલની દિકરી અહી જોવા મળ્યા ન હતા. આમ તો સ્વ.અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલ ભરૂચની દિકરી ગણાવે છે પરંતુ તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.
40 વર્ષથી આ બેઠક અમે ક્યારેય જીત્યા નથી
ભરૂચમાં રાહુલ ગાંધીના સ્વાગત સમયે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની ગેરહાજરીને લઇ કોંગ્રેસ નેતા જયરામ રમેશએ બચાવ કર્યો છે. તેમણે કહ્યુ છે કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસ સાથે જ છે અને કોંગ્રેસ સાથે જ કામ કરશે. તેઓની આ બેઠક પર ચૂંટણી લડવાની ઇચ્છા હતી પરંતુ ગઠબંધનના કારણે ટિકિટ ન મળી જેને લઇ થોડી નારાજગી હોઇ શકે છે.પરંતુ હજુ સુધી કોંગ્રેસના વિરુદ્ધમાં કોઈ નિવેદન આપ્યું જ નથી. રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસ ચૂંટણી લડે માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ ગઠબંધનના કારણે આ બેઠક અમારે ગુમાવવી પડી છે. એમને પણ દુઃખ થયું કે ભરૂચ બેઠક અમારે ગુમાવવી પડી છે. ભરૂચ બેઠક અહેમદ પટેલની બેઠક છે. પરંતુ 40 વર્ષથી આ બેઠક અમે ક્યારેય જીત્યા નથી.
ન્યાયયાત્રા સંગઠન માટે બુસ્ટર ડોઝ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે વધુમાં કહ્યુ કે ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન માટે બુસ્ટર ડોઝ છે. જેનાથી સંગઠનમાં નવા પ્રાણ ફુકાયા છે. ચૂંટણી આવશે જેમાં હારજીત થતી રહેવાની છે. પરંતુ આ યાત્રાએ લોકોને જોડવાનું કામ કર્યુ છે. કોંગ્રેસની યાત્રા વિચારધારાની યાત્રા છે. રાહુલગાંધી કાર્યકરો વચ્ચે પહોચીને કોંગ્રેસની વિચારધારા મજબુત કરી રહ્યા છે.
વધુ વાંચોઃ કાંકરેજમાં 300 તો દાહોદમાં 400થી વધુ AAP-કોંગ્રેસના કાર્યકરોના પાર્ટીને રામ-રામ, કર્યા કેસરિયા
ભરૂચ બેઠક પરથી મુમતાઝ ચૂંટણી લડવા ઇચ્છતા હતા
અહેમદ પટેલ ભરૂચ સાથે નાતો ધરાવે છે. તેઓ ગાંધી પરિવારની ખૂબ નજીકના અને વિશ્વાસુ હતા. તેમની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થતા તેમનું સપનું રોળાયુ છે. અને ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી AAPના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જેને લઇને મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલ નારાજ થયા છે. ન્યાય યાત્રામાં તેમની ગેરહાજરીથી કાર્યકરોમાં પણ ચર્ચાઓ થઇ રહી હતી. પરંતુ રાહુલ ગાંધીની આ યાત્રામાં આપ નેતાઓ જોડાયા હતા. ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.

No comments:
Post a Comment